સોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી - ભાગતી જિંદગીમાં "કેમ છો?" પૂછ્યા પછી ઉત્તર માટે થોભવાની પ્રથા કે રિવાજ રહ્યો નથી.
આવી પરિસ્થિતિમાં બે સખીઓ આ નિરાંતની બાદશાહત અને અમીરી માણતાં માણતાં, પોતપોતાનાં મન અને હૃદયની વાતો આશાએશથી કરે, એ વિચાર જ સૂરજની ગરમીમાં તપી ગયેલા રસ્તા પર પહેલો વરસાદ પડતાં, જે માટીની ભીની સોડમમાં તરબતર થઈ જવાય, એવી જ મીઠી સુગંધથી હયાતી ભરી જાય છે.
દરેક પત્ર અને એના પ્રત્યુત્તરમાં જો વિષય અને એને અનુરૂપ ભાષાનો તાલ અને લય ન જળવાય તો એ પત્રો જેમ બેસૂરું સંગીત કાનને વાગે એમ આંખોને વાગે છે. અહીં આ તાલ અને લયનો મેળ સુભગતાથી કરાયો છે.