પ્રેમ... અઢી અક્ષરનો આ શબ્દ સદીઓથી માનવજાતને ઘેલું લગાડતો આવ્યો છે. પરંતુ શું પ્રેમ એટલે માત્ર પામવું? શું પ્રેમ એટલે માત્ર શારીરિક મિલન અને સંસાર માંડવો? ના, સાચો પ્રેમ તો ત્યાગ, તપસ્યા અને પ્રતીક્ષાની એવી અગ્નિપરીક્ષા છે જેમાં તપ્યા પછી જ કુંદન જેવું તેજ પ્રગટે છે. લેખક પ્રવીણ મકવાણાએ આ નવલકથા 'ચૈતરની પૂનમનાં અજવાળાં'માં પ્રેમની એક એવી જ વિરલ અને સંવેદનશીલ દાસ્તાન આલેખી છે, જે વાચકના હૃદયને ભીંજવી નાખે છે. આ કથા માત્ર બે પ્રેમીઓના મિલન અને વિરહની નથી, પરંતુ સામાજિક મર્યાદાઓ, નિયતિના ખેલ અને આત્માના અતૂટ બંધનની ગાથા છે.
નવલકથાના કેન્દ્રમાં મુખ્ય બે પાત્રોને આલેખવામાં આવ્યાં છે, જેમાં એક નાયક પ્રકાશ મકવાણા અને નાયિકા સુમી મહેતાના પાત્રનું ચિત્રણ કર્યું છે. વાર્તાની શરૂઆત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા વિસ્તારની બી.એડ. કૉલેજથી થાય છે, જ્યાં એક પરિણીત રાજપૂત યુવક પ્રકાશ અને એક સંઘર્ષશીલ બ્રાહ્મણ યુવતી સુમી વચ્ચે પાંગરતી પ્રીતનું વર્ણન છે. લેખકે કૉલેજકાળના એ સોનેરી દિવસો, આંખોની ભાષા, અને પ્રથમ પ્રેમની નિર્દોષતાને બખૂબી વર્ણવી છે. "મારી બંસીમાં બોલ બે વગાડી તું જા" જેવી કાવ્યમય શરૂઆત જ વાચકને એક અલગ ભાવવિશ્વમાં લઈ જા